ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2015

વેરના બીજને જમીનદોસ્ત કરવાનો સંકલ્પ કરીએ


આપણે જેનો ઇંતજાર કરતા હતા તે વર્ષમાં સર્વોત્તમ આરાધનાનો દિવસ આજે આવી ગયો. સાત-સાત દિવસ સુધી આરાધનાની સીડી ચઢતા-ચઢતા આજે મંઝીલ પર પહોંચી ગયા છીએ. આજે સંવત્સરીની મંઝીલ પર આધ્યાત્મિક આનંદ માણવા માટે ઘણા નવા ચહેરા ધર્મ સ્થાનોમાં દેખાય છે. બાર મહિનામાં કોઈ દિવસે દેરાસર કે ઉપાશ્રયમાં પગ મૂકતા ન હોય, તેવા જીવોનો પણ આ દિવસે ધર્મ કરવાની તડપ લાગે છે, અને હર્ષથી દેરાસર ઉપાશ્રય આવે છે. પ્રવચનમાં ભીડ જામે છે. માનવ મહેરામણ કીડીઆરોની જેમ ઉભરાઈ જાય છે. નોકરી વ્યાપાર આદિના કારણે જ ભાગ્યશાલીઓ ૪ દિવસ સુધી બે ટંકાના કુલ આઠ વ્યાખ્યાન ન સાંભળી શક્યા હોય, તેઓ વંચિત ન રહી જાય માટે ૪ દિવસનાં ૮ વ્યાખ્યાન અને આજનું નવમું વ્યાખ્યાન એમ નવ વ્યાખ્યાનો આજે અર્ધ માગઘી ભાષામાં બારસા સૂત્ર તરીકે વંચાય છે. સમયની મર્યાદા હોવાથી તેનો અર્થ આજે કહેવાતો નથી. લોકો અત્યંત ભાવભરી શ્રદ્ધાથી સાંભળે છે. વચમાં વચમાં ચિત્રો પણ બતાવાય છે.
આજે બધા ભાઈ-બહેનો ટોળાના ટોળા જાય છે. બધા ગુરુભગવંતોને વંદન પણ કરે છે. આજે પર્યુષણનો છેલ્લો દિવસ છે. દિવસે દિવસે ચઢતા ભાવથી આજે આવેલું પ્રભાત આધ્યાત્મિક રીતે અનેરો રંગ લાવી રહ્યું છે. જેમ ઉષા અનેરો રંગ લાવે છે, આખા વિશ્વને ખુશનુમ બનાવી દે છે, પણ એક મુહુર્ત પછી એ ઉષા વિલીન થતાં વિયોગનું દુ :ખ સર્જાય છે. એવી રીતે આજે સંવત્સરી પર્વનો ઉત્સાહ પ્રતિક્રમણ સુધી ઉનાળાના થર્મોમીટરની જેમ વધી જશે અને પ્રતિક્રમણ થતા જ વિષાદનો કટુ અનુભવ થશે. વિશ્વમાં સંયોગ છે. ત્યાં વિયોગ નિશ્ચિત જ હોય છે. માટે કશો વિષાદ કરવાની જરૃર નથી.
આજે ક્ષમાના અમૃત ઘટનો દિવસ આવ્યો છે. પ્રેમ અને વહાલના જેટલા ઘુંટડા લઈ શકાય, તેટલા લઈ લેવા જોઈએ, લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, ત્યારે માઢું ધોવા ગયા, તો મામલો ખત્મ થઈ જાય છે. એટલે કે પ્રમાદમાં પડયા રહ્યા અને નકામો લાભ ન ઉઠાવ્યો, તો વર્ષભર પસ્તાવો થશે.
વર્ષભરમાં બીજાને સુખી જોઈને ઇર્ષા કરી હોય, એને ધુળ ચાટતો કરી દઉ એને બરબાદ કરી દઉં, ટાંટીયા ખેંચીને એને જમીન દોસ્ત કરી દઉં, આવી રીતે ઇર્ષા કરીને આત્મામાં પાપનાં સરવાળા કર્યા છે. દ્વેષ અને ક્રોધથી ઘણાએ ધમપછાડા કર્યા છે. બીજાને હલકા નકામા કહીને નવાજ્યાં છે. ક્રોધનો એક ક્ષણ એટલું ભયંકર આગ જેવો દુષ્કૃત્યો નુકશાનનો વિચાર કરીને આજે પ્રતિક્રમણ પહેલા 'મિચ્છામિ દુક્કડં' આપી આત્માને નિષ્પાપ બનાવી દઉં. જેથી રતિભર દ્વેષ ન રહી જાય. ક્રોધનો કટકો ન રહી જાય. પ્રેમ અને વાત્સલ્યનું વાવેતર થાય. હેતના પુષ્પો મઘમઘાયમાન થાય. ક્ષમાના અમૃત ઘટની મન મંદિરમાં પ્રતિષ્ઠા થાય. વાત્સલ્યની મીઠી મધુર વાંસળી વાગવા મંડી જાય. ચિંતામાં અપૂર્વ શાંતિની અનુભૂતિ થાય. બીજાઓનો તમારે પ્રત્યે સદ્ભાવ ઉભો થાય.
આજે સર્વ જીવોને ખમાવીને વૈરીનેય ભેટી પડો, પ્રેમ, પ્યાર, વાત્સલ્યના અમીઝરણાં કરો. કષાયની આગ ક્ષમાના શીતલ જલથી ઓલવી દો.
આજે સંવત્સરી મહાપર્વના દિવસે ઘણા જુના ક્રોધના કાંટાઓને દુર કરો, ક્ષમાની કામધેનું આત્માના ખેતરમાં ઉભી કરી દો. જેથી વર્ષભર પ્રેમ વાત્સલ્યના દૂધના ઘૂંટડા મળ્યા કરશે.
જેમ જંગલમાંથી પસાર થનાર પાછળ જુએ છે કે કેટલો માર્ગ કપાઈ ગયો ? નાવિક પાછળ જુએ છે કે, કિનારાથી કેટલા દુર આવ્યા ? એમ વિચારી આજે પ્રતિક્રમણ એટલે પાછા ફરીને જોવાનું કેટલી વેરની ગાંઠો બાંધી છે ? કેટલી દુશ્મનાવટ ઉભી કરી ? મિત્રતા કેમ ન કરી ? ૮૪ લાખની જીવોની પ્રત્યે મિત્રતાના બદલે દુશ્મનાવટ કેમ ઉભી કરી છે ? ઇત્યાદિનો પશ્ચાતાપ કરી સાંવત્સરીક મહાપર્વના દિવસે મિચ્છામિ દુક્કડં માંગી સાચું ભાવ પ્રતિક્રમણ કરી ક્ષમાપર્વની આરાધના કરીએ. જે વ્યકિત આજે ક્ષમા માંગતો નથી, તે ભાવથી જૈન તરીકે રહી શક્તો નથી. 'ખામેમિ સવ્વ જીવે' બોલવાવાળો શું પોતાના ભાઈ-બહેન સ્વજનની સાથે વેર રાખી શકે ? નાનાએ મોટા પાસે ક્ષમા માંગવી જોઈએ. જે ક્ષમા માંગશે, તે આરાધક થશે. બીજા વિરાધક થશે. વૈરના બીજને દુર નહીં કરીએ તો શું વિષ વૃક્ષ ઉભું નહીં થાય ? ચાલો આજે વૈરના જમીન દોસ્ત કરવાનો સંકલ્પ કરીને ક્ષમાની શીતલતાનો અનુભવ કરતા પર્યુષણ મહાપર્વની પૂર્ણાહૂતી કરીએ.
'ક્ષમા વીરસ્ય ભૂષણમ્' ન ક્ષમા પરાક્રમી પુરૃષોનું કામ છે. જેથી તેમનું ભૂષણ છે. ક્ષમા અને પશ્ચાતાપના આંસુડાઆથી કર્મના મેલને ધોઇ નાંખ્યો ત્યારે દેવો ત્યાં મહોત્સવ કરવા આવ્યા ત્યારે ચારે માસક્ષમણના તપસ્વીઓને પોતાના ક્રોધનો દોષ ખ્યાલમાં આવ્યો. તેઓએ ક્ષમા માંગી અને પશ્ચાતાપથી કેવલજ્ઞાાન મેળવ્યું. આ મહાપર્વના દિવસે ૩ વાતનો આપણે સંકલ્પ કરીએ કે, (૧) કોઇ ક્રોધ કરશે, તો હું ક્ષમા રાખીશ. (૨) છતાં ક્રોધ થઇ જશે, તો ક્ષમા માંગીશ, (૩) કોઇ ક્ષમા માંગશે, તો હું તે ક્ષમા કરીશ. આ રીતે જીવનમાં ક્ષમાની આરાધના કરીને મોક્ષ પામીશ. બાર મહિના ભલે મારી પાનખર હોય પણ પર્યુષણ તો વસંતઋતુ છે. હોઠ નહી હૈયાથી ક્ષમા માગી જીવન સફળ બનાવીએ એ જ શુભેચ્છા. વીતરાગથી વાણીથી વિરુદ્ધ કહ્યું હોય તે 'મિચ્છામિ દુક્કડમ્'
પ.પૂ. આચાર્યશ્રી રશ્મિરત્નસૂરિજી મ.સા. પર્યુષણ શબ્દ પર વિશિષ્ટ વ્યાખ્યા કરતા જણાવ્યું હતું કે...
 
પર્યુષણ = P-A-R-Y-U-S-H-A-N
P = પર્વની ઉજવણી કરવી
A = આરાધના કરવી. ત્ત્
R = રાગ- દ્વેષ દુર કરવા.
Y = ગુણોની યાચના કરવી.
U = ઉપવાસાદિ તપ કરવા.
S = સમતા રુપ સામાયિક કરવું
H = હંમેશ પ્રભુ દર્શનાદિ કરવા.
A = અઠ્ઠાઇ- અઠ્ઠમતપાદિ કરવા
N = નિવિ-એકાશનાદિ તપ કરવા


પ.પૂ. આચાર્ય દેવશ્રી વિજય
ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો